4 ધામોમાં કેદારનાથનો પણ સમાવેશ થાય છે. કેદારનાથના શ્રદ્ધાળુઓ આખા ભારતમાં સૌથી વધારે છે.કેદારનાથ ધામ ભગવાન શંકરનું એક મોટું મંદિર છે જે હિંદુ ધર્મની ઝાંખી કરાવે છે. કેદારનાથ મંદિર હિમાલયની ગિરિમાળા સાથે ગઢવાલ ક્ષેત્રમાં ઉત્તર ભારતમાં આવેલા ઉતરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જીલ્લામાં પવિત્ર મંદાકિની નદીના કિનારે આવેલું છે.
આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમિયાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે.
આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. નર-નારાયણની ભક્તિથી શિવજી પ્રસન્ન થયા હતાં-કેદારનાથ ધામ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે.
શિવપુરાણની કોટીરૂદ્ર સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પ્રાચીન સમયમાં બદરીવનમાં વિષ્ણુજીના અવતાર નર-નારાયણ આ ક્ષેત્રમાં પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરતાં હતાં. નર-નારાયણની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજી પ્રકટ થયાં. શિવજીએ નર-નારાયણ પાસે વરદાન માંગવાનું કહ્યું, ત્યારે સૃષ્ટિના કલ્યાણ માટે નર-નારાયણે શિવજી હંમેશાં આ ક્ષેત્રમાં રહે તેવું વરદાન માંગ્યું.
શિવજીએ કહ્યું કે, હવેથી તેઓ અહીં જ રહેશે અને આ ક્ષેત્ર કેદાર ક્ષેત્રના નામથી ઓળખવામાં આવશે.શિવજીએ નર-નારાયણને વરદાન આપતાં જણાવ્યું કે, જે ભક્તો કેદારનાથ સાથે જ નર-નારાયણના દર્શન કરશે, તેઓ બધા જ પાપમાંથી મુક્ત થશે અને તેમને અક્ષય પુણ્ય મળશે. શિવજી જ્યોતિ સ્વરૂપમાં અહીં સ્થિત શિવલિંગમાં સમાઇ ગયાં
હિમાલયમાં સ્થિત કેદારનાથ અહીંના વાતાવરણના કારણે મોટાભાગે બંધ રહે છે. દર વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન તે દર્શન માટે ખોલવામાં આવે છે. આ શિવલિંગ સ્વયંફૂ છે તેવી માન્યતા પ્રચલિત છે. સ્વયંભૂ શિવલિંગ એટલે સ્વયં પ્રકટ થયેલું. કેદારનાથ મંદિરનું નિર્માણ પાંડવ વંશના રાજા જનમેજય દ્વારા કરાવવામાં આવ્યું હતું અને આદિ ગુરુ શંકરાચાર્યે આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું.
કેદારનાથ મંદિર એક ઊંચા સ્થાને બનેલું છે. મંદિરના મુખ્ય ભાગમાં મંડપ અને ગર્ભગૃહ છે. મંદિરની ચારેય બાજુ પરિક્રમા કરવાનો માર્ગ પણ છે. મંદિર પરિસરમાં શિવજીનું વાહન નંદી વિરાજમાન છે.
શિવલિંગનું પૂજન પ્રાચીન વિધિ-વિધાનથી કરવામાં આવે છે. સવારે શિવલિંગને સ્નાન કરાવવામાં આવે છે. ઘીનો લેપ લગાવવામાં આવે છે. ત્યાર બાદ ધૂપ-દીપ પ્રગટાવવામાં આવે છે, પૂજન સામગ્રીઓ અર્પણ કરવામાં આવે છે, ભોગ ધરાવવામાં આવે છે. આરતી કરવામાં આવે છે. સાંજના સમયે ભગવાનનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]