સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં છેલ્લા 4 દિવસથી અતિભારે વરસાદ વરસતા જમીનના શેઢા પણ વિખાઈ ગયા છે. ગામડા તણાઈ રહ્યા છે તેમજ લોકો જીવ બચાવવા મોભારે ચડીને બેસી ગયા છે. અતિ ભારે વરસાદ ટૂંક સમયમાં વરસી જતા પાણીએ પોતાની મનમાની ચલાવી હતી અને ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા.
સૌરાષ્ટ્રનો મોટો આધાર ખેતી પર નભેલો છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ખેતીને મોટા પાયે નુકસાની પહોંચી છે. ખેડૂતોના હાથમાં આવેલો પાકનો કોળિયો વરસાદે છીનવી લીધો છે. જામનગર, રાજકોટ, પોરબંદર તથા જૂનાગઢ જીલ્લામાં અતિભારે વરસાદથી કપાસ, મગફળી, કઠોળ તથા તલના પાકને 25-30 ટકા નુકસાન પહોંચ્યું હોવાનું કૃષિ નિષ્ણાંતોનું માનવુ છે.
હજી પણ ત્યાં વરસાદ ચાલુ જ છે તેથી હજી પણ નુકસાનીના આંકડાઓ વધવાની આશંકાઓ રહેલી છે. મગફળી, કઠોળ તથા તલના પાકની કાપણીનો સમયગાળો નજીક હતો અને ભારે વરસાદ થવાના કારણે આ પાકને મોટી નુકસાની પહોંચી છે. કપાસના પાકમાં ફાલ ખરી જવાનો તેમજ મૂળ નબળા પડી જવાની નુકસાની છે.
હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ ચોમાસા પેહલા જ આગી કરી હતી કે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખુબ જ ભારે છે. પરતું ગુજરાતના નસીબ એવા કે ચોમાસાના પ્રથમ ફેઝમાં હળવો વરસાદ પડ્યો ત્યાર બાદના 20 દિવસ વરસાદે ડોકિયું પણ નથી કર્યું અને ત્યાર બાદ વરસાદએ ધૂમ મચાવવાનું ચાલુ કરી દીધું છે.
કપાસમાં ખેડૂતોને ગત સીઝનના અંતમાં મણ દીઠ રૂ.1500-1600થી વધુના ભાવ મળ્યા હતા જેના કારણે વાવેતર વહેલા કર્યા હતા અને પાક તૈયારીમાં હતો ત્યારે વરસાદ થતા પાક ધોવાઇ ગયો છે. હવે બીજી વીણી માટે ખેડૂતોએ સરેરાશ એકાદ મહિનાનો સમય લાગશે. મગફળીમાં પણ તૈયાર પાક પર વરસાદથી નુકસાન છે. જે વિસ્તારમાં ભારે વરસાદ નથી ત્યાં વરરસાદી વાતાવરણના કારણે ફૂગનો રોગ લાગુ પડ્યો છે જેથી હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી શકે છે.
શું આ નુકસાની સામે સરકાર ખેડૂતોને વળતર આપશે ખરા ? : આટલા બધા લાખ હેક્ટર પાકનું ધોવાણ થઈ જતા ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. તેઓના ખેતરોમાં કશુ જ બચ્યું નથી. સંધુય વરસાદી પાણી ખેચીને લઈ ગયા છે. આવા સમયે ખેડૂતોને પાક વીમા વળતર આપવા જોઈએ એવી સૌ કોઈની અંતર ઈચ્છા હોઈ છે. પરતું નવા મુખ્યમંત્રી ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે છે કે નહી તે જોવા જેવી બાબત છે.
જે વિસ્તારોમાં જમીનનું ધોવાણ થયું છે ત્યાં વધારે નુકસાન થયું છે : જે ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે અને ગામમાં વરસાદી તેમજ નદીના ફૂલપરવાહ વાળા પાણી ઘુસી ગયા છે તે વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.ચાર જિલ્લામાં સરેરાશ મગફળીના પાકને 30-35 ટકા, કપાસને 40-45 ટકા, કઠોળ તથા તલ પાકને અંદાજે 40-45 ટકા નુકસાન થયાનો અંદાજ છે.
ખરીફ પાક નિષ્ફળ ગયો છે પરતું શિયાળુ પાક માટે ફાયદો જ ફાયદો : ખરીફ પાકને મોટા પાયે નુકસાની પહોંચી હોય પરંતુ વરસાદની સરેરાશ 50-60 ટકા ઘટ હતી જે ચાર જિલ્લામાં પૂર્ણ થઇ ચૂકી છે જેના કારણે શિયાળુ તથા આગામી ઉનાળુ પાક માટે પાણીની અછત નહીં રહે અને વાવેતર અને પાક સારા થશે તેવું ચિત્ર સર્જાયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]