આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં કૃષિ કાયદાઓને રદ કરવા માટેના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવાની જાહેરાત પણ કરી છે.
ગરીબોને મફત અનાજ આપવાની યોજના ચાર મહિના લંબાવી દેવામાં આવી છે. એટલે કે માર્ચ 2022 સુધી આ યોજના અમલમાં રહેશે. નોંધનીય છે કે માર્ચ 2020 માં કોરોના મહામારીની શરૂઆત બાદ લાગુ કરવામાં આવેલ લોકડાઉન બાદ આ યોજના શરૂ કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, 80 કરોડ લોકોને 5 કિલો ભોજન મફત આપવાની યોજના ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 600 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે.
અત્યાર સુધીમાં રાજ્યોને 548 મેટ્રિક ટન ફાળવવામાં આવ્યા છે. જેની ઉપર લગભગ 2 લાખ 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020 સુધીના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેને 30 નવેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી હતી.
PMGKAY હેઠળ 80 કરોડથી વધુ લોકોને દર મહિને 5 કિલો ઘઉં/ચોખા તેમજ પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા મફત આપવામાં આવે છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કર્યા બાદ આજે કેબિનેટ બેઠકમાં બિલને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી.
આ બિલ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ નિર્ણય અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સંસદના સત્રમાં ત્રણ કાયદાઓ નાબૂદ કરવા એ અમારી સરકારની પ્રાથમિકતા રહેશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]